48 કલાક ઈન્ટરનેટ બંધ રહેશે: બિહારના સારણામાં લોકસભા ચૂંટણીનાં મતદાન પછી હિંસા; ગોળીબારમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan21052024_050827_saran violence.webp)
- 21 May, 2024
બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે થયેલા પાંચમાં તબક્કાના મતદાન પછી હિંસાના સમાચાર છે. આ સીટથી રાષ્ટ્રીય જનતા દળના રોહિણી આચાર્ય ઉમેદવાર છે. તેઓ સોમવારે સાંજે મતદાન પૂર્ણ થયા પછીથી છપરા શહેરના જે બૂથ પર પહોંચી હતી, ત્યાં જોરદાર હોબાળો થયો હતો. આ મામલામાં વિવાદ વધતા સારણમાં મંગળવારે બે પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં એક શખ્સનું મોત થયું છે. જ્યારે બે લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય સારણમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઘટના પછીથી છપરાના ભિખારી ઠાકુર ચૌકની પાસે મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. ઘટના સ્થળે એસપી અને ડીએમ હાજર છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજે આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય આ જ વિસ્તારની 118 નંબરના બૂથ પર પહોંચ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે બંને તરફે ઘણા લોકો હતા. ખૂબ જ ભીડ હતી. બંને તરફથી લોકો લાકડી અને ડંડા લઈને આવ્યા હતા. ફાયરિંગ થયું હતું. ત્રણ વ્યક્તિઓને ગોળી વાગી છે.
સ્થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી આચાર્યે બૂથ પર પહોંચીને મતદાતાઓની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેમની સાથે સમર્થકો પણ હતા. રોહિણી આચાર્યએ ગુસ્સે ભરાયેલી ભીડને જોતા ત્યાંથી જતા રહેવાની ફરજ પડી હતી. જોકે મંગળવારે સવારે નવેસરથી વિવાદ વધ્યો તો ગોળીબાર થયો હતો. આ ઘટના પર સારણ એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે કાલે આરજેડી અને બીજેપીના કાર્યકર્તાઓની વચ્ચે વિવાદ વધ્યો હતો. તેની પ્રતિક્રિયાના ભાગરૂપે આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ